સુરેન્દ્રનગરની જાણીતી સવા આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી માત્ર મેટ્રો સિટીમાં જ ઉપલબ્ધ એવી Robotic Surgery અને એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી જેવી અત્યાધુનિક સુવિધાઓ હવે ઝાલાવાડના દર્દીઓ માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બની છે.
આ નવા વિભાગોનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પમાં 600 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક તપાસ અને દવાઓનો લાભ લીધો હતો.
હોસ્પિટલના ડૉ. સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજી દ્વારા ગોઠણના ઓપરેશનમાં 100% ચોકસાઈ અને ઝડપી રિકવરી મેળવી શકાય છે. આ ઉપરાંત, RIRS લેસર ટેકનોલોજી દ્વારા પથરીની સારવાર કોઈપણ કાપકૂપ વગર શક્ય બનશે.
ટ્રસ્ટી ડી.વી. શાહના સહયોગથી પ્રથમ 50 જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી હવે સુરેન્દ્રનગરના દર્દીઓએ ગંભીર બીમારીઓની સારવાર માટે અમદાવાદ કે રાજકોટ સુધી લંબાવવું નહીં પડે.
