દસાડા તાલુકામાં ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન,
ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજીનું માર્ગદર્શન

સુરેન્દ્રનગર: દસાડા તાલુકામાં ખેડૂતોને રવિ પાકોની આધુનિક કૃષિ ટેકનોલોજી અને સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન આપવા માટે એક દિવસીય “રવિ કૃષિ મહોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટડી ખાતેના કડવા પાટીદાર હોલ ખાતે આ મહોત્સવ યોજાયો વર્ષ ૨૦૦૫-૦૬ માં શરૂ કરાયેલ ‘કૃષિ મહોત્સવ’ની પરંપરાને આગળ વધારતાં, આ વર્ષે રાજ્યના તમામ ૨૬૧ તાલુકાઓમાં અને એક રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મળીને કુલ ૨૬૨ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ખેતીના ઉત્પાદનમાં વધારો કરવો, નવીન તકનીકો ખેડૂતો સુધી પહોંચાડવી, ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારવાનો છે.
આ રવિ કૃષિ મહોત્સવનું લોન્ચિંગ સરકાર દ્રારા પંચમહાલ-ગોધરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું.
પાટડી કડવા પાટીદાર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર અને નાયબ કલેક્ટર મિલન રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પી.કે.પરમારે વિવિધ સ્ટોલોની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ ઉપલાના, દસાડા તાલુકાના ખેડૂત મિત્રો, રાજકીય આગેવાનો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ખેતી વિશેષજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું, તેમજ મિશન મંગલમ યોજના દ્વારા પ્રેરિત સ્વસહાય જૂથના સભ્યો અને સફળ ખેડૂતે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના લાભાર્થીઓ અને મિશન મંગલમ શાખાની સ્વસહાય જૂથની મહિલાઓ સહિત લગભગ ૫૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ મહોત્સવ બીજા દિવસે આત્મા પ્રોજેક્ટ દ્વારા બામણવા ખાતે યોજાશે.