સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી અંદાજે 500 વર્ષ જૂની પૌરાણિક ‘અંબાજીની વાવ’ લાંબા સમયથી ઉપેક્ષિત અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બિસ્માર હાલતમાં હતી.
આ ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી માટે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા, અંતે ગામના યુવાનોએ ‘જાત મહેનત ઝિંદાબાદ’નું સૂત્ર સાર્થક કર્યું છે. યુવાનોએ સ્વખર્ચે અને લોકફાળો એકત્રિત કરીને આ વાવની સંપૂર્ણ સાફ-સફાઈ હાથ ધરી તેને પુનઃ ભવ્ય સ્વરૂપ આપ્યું છે.
આ વાવ ધ્રાંગધ્રાના પ્રખ્યાત પથ્થરો પર કરવામાં આવેલી સુંદર કોતરણી માટે જાણીતી છે, જેમાં અંબાજી માતાજી, હનુમાનજી અને ગણેશજીના મંદિરો પણ આવેલા છે. કલા અને સંસ્કૃતિનો બેનમૂન નમૂનો હોવા છતાં પુરાતત્વ વિભાગની ઉદાસીનતાને કારણે આ વાવ ખંડેર બની રહી હતી.
હવે ગ્રામજનોની પ્રબળ માંગ છે કે આ 500 વર્ષ જૂની ઈમારતને હેરિટેજ લિસ્ટમાં સમાવવામાં આવે, જેથી તેની કાયમી જાળવણી થઈ શકે અને આવનારી પેઢી આ ભવ્ય ઇતિહાસથી માહિતગાર રહી શકે. યુવાનોના આ પ્રયાસની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
