લખતર તાલુકાના ઘણાદ ગામમાં ઘૂડખરના વધતા આતંક અને તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે 8 વાગ્યે ગામના ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઘૂડખર દ્વારા પાકને કરવામાં આવતા ભારે નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે હવે આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
સોશિયલ મીડિયા પર પણ ખેડૂતોનો આક્રોશ વહેતો થયો છે. “દિવસે મહેનત, રાત્રે ઉજાગરા તોય છોકરા ભૂખ્યાં” જેવી સંવેદનશીલ પોસ્ટ્સ ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઈ રહી છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે “ઘૂડખરના આતંકથી ખેડૂતો બેહાલ છે, તો તંત્ર હજુ મૌન કેમ?”. આ નિષ્ક્રિયતા સામે લડત આપવા માટે ખેડૂતોએ આક્રમક રણનીતિ તૈયાર કરી છે.
ખેડૂત આગેવાન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઘૂડખરના પ્રશ્ને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 25 માર્ચના રોજ ઘણાદ ગામમાં જિલ્લાભરના ખેડૂતોને એકઠા કરી એક ભવ્ય ‘બિનરાજકીય મહાખેડૂત સંમેલન’ યોજવામાં આવશે.
આ સંમેલન દ્વારા સરકાર અને તંત્ર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં આ સંમેલનના આયોજન અને જનજાગૃતિ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
