જમીનના મનદુઃખમાં ફાયરિંગ: થાનગઢ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગર : થાનગઢ ખાતે જમીન બાબતના જૂના મનદુઃખમાં થયેલા ફાયરિંગ અને હુમલાના કેસમાં ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે.
ગત તા. ૧૨/૧૦ ના સાંજે થાનગઢના દરબારગઢ શેરી, ધોળેશ્વર સ્કૂલ સામેના વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીના મામાની જમીન બાબતે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદીના પરિવારના સભ્યોને ગાળો આપી પિસ્તોલ વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને બીજો રાઉન્ડ ફરિયાદી તરફ તાક્યો હતો, જે મિસ ફાયર થયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ લોખંડના પાઇપ વડે ફરિયાદીના દાદાને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમને સાત ટાંકા આવ્યા હતા, અને તલવાર વડે ફરિયાદીના જમણા હાથના પંજા પર ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી. આરોપીઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
થાનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ થાનગઢ પી.આઈ. વી.કે. ખાટ સાહેબની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ સીંધવ, રાહુલભાઈ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર અને મેહુલભાઈ ઉર્ફે ઘોધો બહાદુરભાઈ ધોળકીયા (તમામ રહે. થાનગઢ) ને ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. પોલીસે તેમની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.