ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપર ગામના ઉકાભાઇ જેરામભાઈ ભરમાણી અને તેમના કુટુંબીજનો રિક્ષામાં સવાર થઈ નરાળી ગામે લૌકિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર એક બાઈક ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
બાઈકની ટક્કર લાગતા રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર ઉકાભાઇ સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયા બાદ ઉકાભાઇએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર બાઈક સવારની શોધખોળ શરૂ કરી છે.
