સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. જસાપર ગામના ભેચડા રોડ પર નર્મદા કેનાલ નજીક આવેલી ગૌચર જમીન પર બાજુના ખેતર માલિકે ગેરકાયદે કબજો કરી વાવેતર ચાલુ રાખ્યું છે.
અગાઉ પ્રાંત અધિકારીના આદેશથી સર્વે નંબર 753 હેઠળ આ જમીનને ગૌચર તરીકે નોંધવામાં આવી હતી, તેમ છતાં કબજો યથાવત રહ્યો છે. આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક તલાટી કમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અહેવાલ આપ્યો કે ગૌચર જમીન પર કબજો હોવાનું સ્પષ્ટ થતું નથી.
તલાટીના આ વિવાદાસ્પદ જવાબથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવું જણાય છે કે જવાબદાર કર્મચારી જ સરકારી રેકોર્ડને અવગણીને દબાણદારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
