ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર થયેલા જીવલેણ હુમલા અને લૂંટના કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાર શખ્સોની ટોળકીએ દંપતી પર ધારિયા વડે હુમલો કરી મહિલાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા સિટી પોલીસે છેલ્લા 10 દિવસથી નાસતા ફરતા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસ તેમને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કેસમાં હજુ પણ ફરાર છત્રપાલસિંહ ઉર્ફે સતુભા અને કેતન મકવાણાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
