ધ્રાંગધ્રાના કુંભાર પરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ દલવાડીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે ત્રણ શખ્સોએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓએ પ્રેમજીભાઈની જાણ બહાર અંગ્રેજીમાં ખોટી ‘પાવર ઓફ એટર્ની’ કરાવી હતી અને તેમની નકલી સહીઓ કરીને ખોટા વાઉચર બનાવ્યા હતા.
આ ઠગબાજોએ દસ્તાવેજોમાં એવું દર્શાવ્યું હતું કે તેઓએ પ્રેમજીભાઈને 11.15 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. આ ખોટા દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ધાંગધ્રા સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સામેલ સંજય ઉર્ફે બિલ્લો મનાભાઈ સરવૈયા, ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર અને સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે આખું માળખું ઊભું કર્યું હતું. હાલમાં ધાંગધ્રા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને છેતરપિંડીની રકમ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ કિસ્સાએ જિલ્લામાં જમીન લે-વેચમાં થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવી દીધી છે. પોલીસ વિભાગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આ કાવતરામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીન પચાવી પાડવાના આ કેસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.
