ચોટીલા નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે તમામ દસ્તાવેજો હોવા છતાં અરજદારો પાસેથી પરાણે સોગંધનામા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મનસ્વી વહીવટને કારણે લોકોને પડતી હાલાકી અંગે અરજદારે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.
ચોટીલા નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકારના વર્ષ 2005ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અરજદારો પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ સોગંધનામા ફરજિયાતપણે માંગવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારી નિયમોમાં આવા કોઈ સોગંધનામાનો ઉલ્લેખ નથી, છતાં પાલિકાએ જાતે જ નવા નિયમો બનાવી પ્રજા પર આથક બોજ વધાર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લગ્ન નોંધણી માટે સોગંધનામા, ટિકિટ અને સટફિકેટના નામે એક અરજદારને અંદાજે રૂ. 3,000નો જંગી ખર્ચ થઈ રહ્યો છે.
તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં પણ વર-કન્યા પક્ષ પાસેથી આવા સોગંધનામા લઈને હેરાન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ આવી કોઈ પ્રથા ન હોવા છતાં ચોટીલામાં ચાલતી આ લૂંટ સામે જાગૃત નાગરિક વિનોદ મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પ્રજાના હિતમાં આ ખોટી પ્રથા બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
