ગુજરાત રાજ્યના ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓમાં પણ મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું
સુરેન્દ્રનગર: નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના વિવિધ ૭૩ તાલુકાઓમાં મીડીએશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ સેન્ટરોનું ઉદ્ઘાટન તા.૦૮/૧૦/૨૦૨૫ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓમાં પણ મીડીએશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું.
આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના જજ ઓગસ્ટીન જયોર્જ મસીહ નાઓએ ૭૩ જુદા જુદા તાલુકાઓમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ન્યાયની અદાલતોમાં ન્યાય પ્રક્રિયામાં ઘણો સમય વીતી જાય છે, જ્યારે મીડીએશન દ્વારા પક્ષકારોના પ્રશ્નોનો સુખદ રીતે નિવેડો લાવવામાં આવે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત રાજ્યમાં આ ૭૩ સેન્ટરોની સ્થાપનાથી પક્ષકારો તેમજ ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા તમામને ઘણો ફાયદો થશે.
આ શુભ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના એકઝીકયુટીવ ચેરમેન ન્યાયમુર્તિ એ.વાય.કોગ્ઝે, ગુજરાત રાજય વડી અદાલતના ન્યાયમુર્તિ એ. આઈ. સુપૈયા અને ગુજરાત રાજય વડી અદાલતના તમામ ન્યાયમુર્તિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એસ. વી. પીન્ટો નાઓએ આભાર વિધિ સાથે પ્રવચન આપ્યું હતું.