Mediation Center | ગુજરાત રાજ્યમાં સામાન્ય નાગરિકોને ઝડપી અને સુખદ ન્યાય મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ બિન-અદાલતી પ્રક્રિયાત્મક પગલું ભરવામાં આવ્યું છે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી (National Legal Services Authority) અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના 73 તાલુકાઓમાં નવતર મીડીએશન સેન્ટર (Mediation Center) ની સ્થાપના કરવામાં આવી છે.
આ તમામ સેન્ટરોનું ભવ્ય ઉદ્ઘાટન 08/10/2025 ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, લીંબડી અને પાટડી તાલુકાઓનો પણ સમાવેશ થાય છે.
આ પ્રસંગે સુપ્રિમ કોર્ટ (Supreme Court) ના જજ ઓગસ્ટીન જયોર્જ મસીહ દ્વારા તમામ 73 તાલુકાઓમાં મીડીએશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ન્યાયની સામાન્ય અદાલતોમાં કાનૂની પ્રક્રિયામાં ઘણો સમય વીતી જાય છે, જ્યારે મીડીએશન (મધ્યસ્થતા) દ્વારા બંને પક્ષકારોના પ્રશ્નોનો પરસ્પર સંમતિથી સુખદ નિવેડો લાવવામાં આવે છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત રાજ્યમાં આ 73 મીડીએશન સેન્ટરો શરૂ થવાથી અરજદારો, પક્ષકારો તેમજ સમગ્ર ન્યાય પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ લોકોને મોટો ફાયદો થશે.
આ શુભ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના એકઝીકયુટીવ ચેરમેન ન્યાયમૂર્તિ એ.વાય.કોગ્ઝે, ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ એ. આઈ. સુપૈયા અને વડી અદાલતના તમામ ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ. વી. પીન્ટો દ્વારા આભાર વિધિ સાથે પ્રવચન આપવામાં આવ્યું હતું.
