કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલ થી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલને કારણે સર્જાયેલી ગંદકીની સમસ્યાએ સમગ્ર શહેરને ભરડો લીધો છે, જેને પગલે વહીવટી તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી છે અને નાગરિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. મનપાના બેદરકાર વલણ અને સફાઈ વ્યવસ્થાપનની પોકળ વાતોથી ત્રસ્ત થયેલા લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

શહેરના અનેક રહેણાંક સોસાયટી વિસ્તારોમાં તેમજ મુખ્ય જાહેર રસ્તાઓ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે આ ઢગલા હવે માત્ર ગંદકીનો જ નહીં, પરંતુ રોગચાળાનું કેન્દ્ર બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે કરવામાં આવતી “સુફિયાણી વાતો” અને “શ્રેષ્ઠ સફાઈ”ના દાવાઓ સામે લોકો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો આ જ ‘વ્યવસ્થા’ હોય, તો પછી હજારો નાગરિકોને શા માટે આ ગંદકીના નરકમાં જીવવા મજબૂર થવું પડે છે?
વળી, કમોસમી વરસાદ અને વાતાવરણમાં એકાએક આવેલા પલટાએ આ સ્થિતિને વધુ વકરી છે. વરસાદના કારણે કચરાના ઢગલામાંથી દુર્ગંધ અને ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયું છે, જેને કારણે મચ્છરો અને જીવાણુઓનો ઉપદ્રવ વધ્યો છે. આ સીધી અસર નાગરિકોના જનઆરોગ્ય પર પડી રહી છે. તહેવારો ટાણે જ આવી સ્થિતિ ઊભી થતાં લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે. મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો પ્રત્યેના શોષણ અને તેમના પગાર, બોનસ, અને અન્ય હક્કોના વિવાદને ઉકેલવામાં તંત્રની ઊભી થયેલી નિષ્ફળતા આ ગંભીર પરિસ્થિતિ માટે જવાબદાર છે.
શહેરના અનેક વિસ્તારોના મુખ્ય રોડ હવે ‘ગંદકીના સામ્રાજ્ય’માં પરિવર્તિત થઈ ગયા છે, જ્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાએ તાત્કાલિક અસરથી સફાઈ કામદારોની સમસ્યાનો ઉકેલ લાવી, યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાવવાની માંગ ઉઠી છે.