Blunder in Surendranagar New RCC Road Constructed But Drainage Omitted
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુધરેજથી વેળાવદર સુધી લાખો રૂપિયાના ખર્ચે નવો આરસીસી રોડ (RCC Road) બનાવવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટ (Project) હજુ ચાલુ જ છે, ત્યાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરને અચાનક ભાન થયું કે તેઓ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું બનાવવાનું જ ભૂલી ગયા છે! આ ગંભીર ભૂલને ઢાંકવા માટે હવે નવો બનેલો રોડ તોડીને ફરીથી ખોદકામ શરૂ કરાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, દુધરેજ નજીક નવો રોડ બનાવતી વખતે ત્યાં વર્ષો જૂનું વરસાદી નાળું હતું, જેમાં માટી પુરીને તેને બંધ કરી દેવાયું હતું. જો આ ભૂલ સુધારવામાં ન આવી હોત તો ચોમાસામાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય તેમ હતો. પોતાની આ મોટી ભૂલ સમજાતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક જેસીબી (JCB) મશીન વડે નવો નક્કોર રોડ અધવચ્ચેથી તોડી નાખ્યો છે અને ત્યાં નવું નાળું બનાવવાની કામગીરી શરૂ કરી છે.
એકવાર આરસીસી (RCC) સ્ટ્રક્ચર બની ગયા બાદ તેને તોડીને સાંધો મારવાથી રોડનું આયુષ્ય અને તેની લોડ બેરિંગ કેપેસિટી (Load bearing capacity) ઘટવાની પૂરેપૂરી ભીતિ છે. જનતાના ટેક્સ (Tax) ના પૈસાનો આ રીતે બગાડ કરનાર બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
