Surendranagar Tazia Guidelines | સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તાજીયાના પર્વને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયો છે. સમગ્ર જિલ્લામાં કુલ 66 જેટલા સ્થળો પર તાજીયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા આયોજકો અને મુસ્લિમ અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. પોલીસની કડક સૂચના બાદ સુરેન્દ્રનગરમાં ઇતિહાસમાં પ્રથમ વખત તાજીયાના સરઘસમાં ડી.જે. (D.J.) નો ઉપયોગ ન કરવા અંગે આયોજકોએ લેખિત ખાતરી આપી છે.
જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી (DySP) પાર્થ પરમારે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, તાજીયા એ માતમનું પર્વ હોવાથી માત્ર ધાર્મિક પરંપરા મુજબ જ ઉજવણી કરી શકાશે.

સરઘસ કે મહોલ્લામાં વગાડવામાં આવતા ઓડિયો અને સ્ટેજ પરથી કરાતા પ્રવચનોમાં કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.
આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વખતે તલવાર, ધોકા, છરી કે અન્ય કોઈપણ પ્રકારના હથિયારો (વેપન્સ) ના પ્રદર્શન પર પૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં હથિયાર સાથે પકડાશે અથવા ગેરકાયદે પ્રવૃત્તિ કરશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે અને તેની સંપૂર્ણ જવાબદારી જે-તે વિસ્તારના આયોજકોની રહેશે.
