Surendranagar Sowing Delay | સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે વાવેતરની કામગીરી અટકી પડી છે, જેને લીધે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે. ગત વર્ષ 2025 માં 15 જૂનથી જ વરસાદનું આગમન થઈ ગયું હોવાથી ખેડૂતોએ વહેલું વાવેતર શરૂ કરી દીધું હતું.
જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, 19 જૂન 2025 સુધીમાં જિલ્લામાં કુલ 2.14 લાખ હેક્ટર જમીન પર વાવેતર થઈ ચૂક્યું હતું, જેની સામે 19 જૂન 2026 સુધીમાં માત્ર 1.17 લાખ હેક્ટર જમીન પર જ વાવેતર નોંધાયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ વાવેતરમાં 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે.
જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી અને બીજી તરફ કેનાલોમાં સિંચાઈ કે પિયત માટે જરૂરી પાણી છોડવામાં આવ્યું નથી. ગ્રામીણ વિસ્તારોના સ્થાનિક ડેમ અને તળાવો પણ ખાલીખમ હોવાથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થાય છે. પરંતુ હાલ પિયતના પાણીના અભાવે હજારો હેક્ટર જમીન કોરી પડી છે.
ખેતરો સુકાભઠ્ઠ હોવાથી અને યોગ્ય સિંચાઈ વ્યવસ્થા ન મળતા હાલમાં વાવેતરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
