Surendranagar Drainage Problem | સુરેન્દ્રનગર શહેર સ્વચ્છ બને તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) દ્વારા કરોડો રૂપિયા સેનિટેશન (Sanitation) વિભાગ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર સફાઈની જે કામગીરી થવી જોઈએ તે થતી ન હોવાનો ઘાટ સુરેન્દ્રનગરમાં સર્જાઇ જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ન સૌથી વધુ મળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવેલા કમ્પ્લેન (Complain) વિભાગમાં પણ રોજની 50થી વધુ ફરિયાદો ભૂગર્ભ ગટરના પ્રશ્નની હોવાનું સામે આવ્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના મેગા મોલ (Mega Mall) સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ડ્રેનેજના (Drainage) પાણી રોડ ઉપર ભરાઈ જવા પામ્યા છે.
આ અંગે મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ ભૂગર્ભ ડ્રેનેજ સફાઈની કામગીરી કરવામાં આવતી નથી જેને લઇને સ્થાનિક વેપારીઓ પણ પરેશાન બન્યા છે.
ધંધાકીય સ્થળો, ઉદ્યોગો અને કારખાનાઓ અને દુકાનો આ રોડ ઉપર આવેલી છે ત્યારે ફરજિયાત ડ્રેનેજના ગંદા પાણીમાંથી વેપારીઓ અને દુકાનદારોને પસાર થવું પડી રહ્યું છે.
આ અંગે તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ડ્રેનેજ સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર (Commissioner) અને મેયરને (Mayor) પણ રજૂઆત કરવામાં આવી છે.
