સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ઝાલાવાડ પંથકમાં સવારના 11 વાગ્યાથી જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતાં લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.
બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં લોકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે. જેના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ખાસ કરીને રણકાંઠાના પાટડી અને ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.
આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠંડા પીણા, લીંબુ શરબત અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા પણ હીટવેવની ગંભીરતાને ધ્યાને રાખી વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ડીહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવાની સલાહ અપાઈ છે.
આવી વિકટ પરિસ્થિતિમાં માનવતા મહેકી ઉઠી છે. ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ દ્વારા બજારમાં આવતા લોકો માટે નિઃશુલ્ક છાશ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 21 દિવસ સુધી ચાલનારા આ સેવા યજ્ઞમાં દરરોજ 150 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ અંદાજે 1000 જેટલા લોકો લઈ રહ્યા છે.
ખેતીકામ કે ખરીદી માટે આવતા ગ્રામીણ લોકો માટે આ છાશ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ વધવાની શક્યતા છે. ત્યારે લોકોએ સાવચેત રહેવું અનિવાર્ય છે.
