સુરેન્દ્રનગર જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની રહ્યો હોય તેમ મહેસૂલી વિભાગમાં લાંચ લેવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ જમીન કૌભાંડમાં જેલના સળિયા ગણી રહ્યા હોવા છતાં, અધિકારીઓ ભ્રષ્ટાચાર છોડવા તૈયાર નથી.
તાજેતરની ઘટનામાં લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમાર અને આઉટ સોર્સિંગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કનકસિંહ વાઘુભા ઝાલા 20,000 ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા છે.
સમગ્ર વિગત મુજબ, લખતર તાલુકાના વડલા ગામે આવેલ ખેત જમીનની વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરી આપવા બદલ આરોપીઓએ ફરિયાદી પાસે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાં પ્રથમ હપ્તા તરીકે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી (ACB) નો સંપર્ક કર્યો હતો. સુરેન્દ્રનગર એસીબી વિભાગ દ્વારા છટકું ગોઠવીને લખતર મામલતદાર કચેરીમાં જ્યારે પટાવાળો નાયબ મામલતદાર વતી લાંચ સ્વીકારી રહ્યો હતો ત્યારે જ બંનેને ઝડપી પાડ્યા હતા.
આ ભ્રષ્ટાચારના મામલે એસીબી દ્વારા બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અગાઉ પણ જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારીઓ જમીનના કામોમાં રૂપિયા પડાવવાના આક્ષેપ હેઠળ જેલ જઈ ચૂક્યા છે. લખતરની આ ઘટનાએ મહેસૂલી વિભાગની છબી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એસીબી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આ બંનેએ કેટલા લોકો પાસે જમીનના કામો માટે લાંચ લીધી છે.
