સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પરના પુલોની હાલત દયનીય બની છે, જેમાં મૂળી તાલુકાની ભોગાવો નદી પરનો પુલ હવે અત્યંત જર્જરિત થઈ ગયો છે. સરા, થાનગઢ અને વાંકાનેર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો આ પુલ પાયામાંથી ડેમેજ થયો છે અને તેના પિલરોમાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. પુલના ઉપરના ભાગેથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા હોવા છતાં, હજારો વાહનચાલકો આ જોખમી પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં નદી પાણીથી ભરેલી હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નવા પુલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરી રહ્યા ન હોવાથી કામગીરી અટકી પડી છે. બીજી તરફ, આ પુલ પરથી દરરોજ એસટી બસો, ખાનગી લક્ઝરીઓ, વિદ્યાર્થીઓ ભરેલા વાહનો અને ખેડૂતોના માલવાહક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર તાકીદે જાગે અને આ જર્જરિત પુલના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરે.
