સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખીને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 28-04-2026 સુધી જિલ્લાના તમામ સરકારી અતિથિ ગૃહો અને વિશ્રામ ગૃહોના રાજકીય વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી લેવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો ચૂંટણી પ્રચાર અથવા મીટિંગો માટે સરકારી સર્કિટ હાઉસ, ડાક બંગલા કે સરકારી રહેણાંકોનો ઉપયોગ કરી શકશે નહીં.
આ ઉપરાંત, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા કોઈપણ મહાનુભાવને આ સ્થળોએ રૂમ ફાળવવામાં આવશે નહીં. સરકારી મિલકતોના કમ્પાઉન્ડમાં ચૂંટણીલક્ષી વાહનોના પાર્કિંગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
