સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપરના રહીશોને સરકારી કામકાજમાં સુવિધા રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ સિટી મામલતદાર કચેરી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ, હાલમાં આ કચેરી અરજદારો માટે સુવિધાને બદલે દુવિધાનું કેન્દ્ર બની ગઈ છે.
એપ્રિલ 2026 ની કાળઝાળ ગરમીમાં દૂર-દૂરથી આવતા અરજદારોને કચેરીમાં તાળા જોવા મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે જ્યારે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે મહેસૂલ તલાટીની કચેરી બંધ કરી કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાની બુમરાણ ઉઠી હતી.
સ્થાનિક રહીશો અને મહિલા અરજદારોએ આક્ષેપ કર્યો છે કે કચેરીના સમય દરમિયાન પણ કર્મચારીઓ પોતાની સીટ પર હાજર રહેવાને બદલે બહાર આંટાફેરા મારતા હોય છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ ન થતા મહિલાઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
આ ગંભીર બેદરકારીને પગલે અરજદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે કચેરીના સમયનું ચુસ્તપણે પાલન થાય અને કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહે તેવા કડક આદેશો આપવામાં આવે. સરકારી તંત્રની આ ઢીલી નીતિને કારણે સામાન્ય જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
