સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં કેનાલો રિપેરિંગ માટે બંધ કરવામાં આવશે તેવી અધિકારીઓની વારંવારની ટકોર અને સૂચનાઓને કારણે ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું ટાળ્યું હતું.
તંત્ર દ્વારા ખેડૂતોને સ્પષ્ટ જણાવાયું હતું કે માર્ચ પછી સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં થાય. જોકે, વાસ્તવિકતા એ છે કે હાલમાં એપ્રિલ મહિનો હોવા છતાં નર્મદાની તમામ કેનાલો ચાલુ છે અને તેમાં પાણી બે કાંઠે વહી રહ્યું છે, પરંતુ વાવેતરની સીઝન વીતી ગઈ હોવાથી હવે ખેડૂતો માટે વાવણી શક્ય નથી.
ખેતીવાડી વિભાગના આંકડા મુજબ, જિલ્લાની 6 લાખ હેક્ટર વાવેતર લાયક જમીન પૈકી માત્ર 32,000 હેક્ટર જમીનમાં જ ઉનાળુ પાકનું વાવેતર થયું છે. અધિકારીઓના ખોટા દાવા અને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી અપાયેલી ગેરમાર્ગે દોરતી માહિતીને લીધે લાખો હેક્ટર જમીન પડતર રહી ગઈ છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણીના માહોલમાં ખેડૂતોને રાજી રાખવા માટે કેનાલો ચાલુ રાખવામાં આવી છે, પરંતુ જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન ન કરવું પડત. સિંચાઈની સુવિધા હોવા છતાં તંત્રની અસ્પષ્ટ નીતિને કારણે ખેડૂતોને ચાલુ વર્ષે ઉનાળુ પાકની મોટી ખોટ ખાવાનો વારો આવ્યો છે. રિપેરિંગના નામે ખેડૂતોને ગુમરાહ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.
