સુરેન્દ્રનગર જિલ્લાના વિખ્યાત યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. માં ચામુંડાના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી, ખાસ કરીને ઉત્તર ગુજરાત, કડી અને બનાસકાંઠાથી શ્રદ્ધાળુઓ પગપાળા રથ અને ધજા સાથે ઉમટી પડ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં અંદાજે 3 લાખથી વધુ ભક્તોએ ડુંગર ચઢી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રે 1:30 વાગ્યે જ દર્શન માટે દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા.
ડુંગર પર ચઢવા માટે પગથિયાં પર ભીડ એટલી વધી ગઈ હતી કે શ્રદ્ધાળુઓએ ડુંગરની બાજુમાં આવેલી ખાલી જગ્યાનો ઉપયોગ કરીને ઉપર પહોંચવું પડ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના પાણી, પ્રસાદ અને સુરક્ષા માટે સ્વયંસેવકોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ, હોમગાર્ડ અને GRD જવાનોએ ખડેપગે રહી ટ્રાફિક અને ભીડનું નિયંત્રણ કર્યું હતું, જ્યારે CCTV કેમેરા દ્વારા સમગ્ર પરિસર પર બાજ નજર રાખવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવને કારણે સ્થાનિક વેપારીઓ, પ્રસાદીના સ્ટોલધારકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં ભારે તેજી જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવી હતી, જે તમામ હાઉસફુલ જોવા મળી હતી. ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતિ અને પૂનમના દિવસે ચોટીલા ડુંગર ‘જય ચામુંડા’ ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
