સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગરથી મોરબી સુધી પાણી પહોંચાડતી મુખ્ય બ્રાન્ચની કેનાલની સ્થિતિ ચિંતાજનક બની છે.
કેનાલના પીલર પરથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને અંદરના લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે. નર્મદા વિભાગ દ્વારા રીપેરીંગ કામગીરીની જાહેરાતો તો કરવામાં આવી છે, પરંતુ 1 પણ સ્થળ પર હજુ સુધી પ્રત્યક્ષ કામ શરૂ થયું નથી.
કેનાલ પર આવેલા બ્રિજ અને પીલર ફાટી જવાની સ્થિતિમાં હોવાથી ખેડૂતોમાં ફાળ પડી છે. ખેતી માટે મશીનરી મુકવા જતા ખેડૂતોના જીવનું જોખમ વધી રહ્યું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે રીપેરીંગના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઠેરની ઠેર છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને તાત્કાલિક સમારકામ હાથ ધરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
