સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા ‘વિભાગ સેવા મિલન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ અવસરે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા વિવિધ સેવાકાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાના હસ્તે ગુજરાત કલ્યાણ પરિષદની અધિકૃત વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામજીએ સંઘના સેવાકાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે, દેશ પર આવતી કોઈપણ આપત્તિમાં સ્વયંસેવકો હંમેશા અગ્રેસર રહે છે. પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, સેવાના માર્ગે ચાલવા માટે અહંકારનો ત્યાગ જરૂરી છે. તેમણે ‘લેના બેંક’ને બદલે ‘દેના બેંક’ બનવા પર ભાર મૂક્યો હતો અને સ્વયંસેવકને સર્વશ્રેષ્ઠ સેવક ગણાવ્યા હતા. ડો. ત્રિવેદીએ ઉમેર્યું કે આપણી ભાષા, ભૂષા, ભોજન અને ભજન જાળવી રાખવા એ જ નિસ્વાર્થ સેવાનો પાયો છે.
વિભાગ કાર્યવાહ મનસુખભાઈ સભાણીએ માહિતી આપી હતી કે, RSS દ્વારા હાલ દેશભરમાં 96,045 થી વધુ સેવાકાર્યો સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબન ક્ષેત્રે ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર પ્રાંત સદ્ભાવ કાર્યના ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે મતાંતરણ વગરની શુદ્ધ સાત્વિક સેવા એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે. આ કાર્યક્રમ દ્વારા સમાજના વંચિત અને પીડિત વર્ગ સુધી પહોંચવા માટે સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
