સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ખમીસાણા ગામનો સમાવેશ થયા બાદ સ્થાનિક વિચરતી અને વિમુક્ત જાતિના દેવીપૂજક સમુદાયના પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 100 ચોરસ વારના પ્લોટ પર આ પરિવારોએ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ મકાન નિર્માણ કર્યું છે. યોજનાના 1 અને 2 હપ્તા મળી ગયા છે, પરંતુ મકાન પૂર્ણ થયા બાદ ત્રીજા હપ્તાની રકમ મેળવવા માટે ‘કમ્પ્લીશન સર્ટિફિકેટ’ અનિવાર્ય છે.
વહીવટી ગુંચવણને કારણે તાલુકા પંચાયત આ પ્રમાણપત્ર આપવાની ના પાડી રહી છે, જ્યારે મહાનગરપાલિકા કચેરી આ જવાબદારી પંચાયતની હોવાનું જણાવી રહી છે. બંને કચેરીઓના ધક્કા ખાતા 20 થી વધુ પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ વ્યાસ દ્વારા જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો જરૂરિયાતમંદ પરિવારો સરકારી સહાયથી વંચિત રહી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
