સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ઠલવાતા દૂષિત પાણીની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે અંતે મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સૌથી પ્રદૂષિત નદીઓમાં જેની ગણતરી થાય છે તેવી ભોગાવો નદીને સ્વચ્છ બનાવવા માટે પાલિકા અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
હાલમાં શહેરના 3 થી વધુ મુખ્ય સ્થળો પરથી ગંદા પાણીનું જોડાણ સીધું નદીમાં આપવામાં આવ્યું છે, જેના કારણે નદીનું અસ્તિત્વ જોખમાયું છે અને આસપાસ રહેતા નાગરિકોના આરોગ્ય પર પણ ગંભીર ખતરો ઉભો થયો છે. વારંવારની રજૂઆતો બાદ પાલિકા તંત્ર દ્વારા આ દૂષિત પાણીને રોકવા માટે નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત પાલિકા દ્વારા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નવી પાઇપલાઇન નેટવર્ક દ્વારા નદીમાં જતું ગંદુ પાણી હવે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અથવા સંગ્રહ ટાંકાઓમાં વાળવામાં આવશે.
ભોગાવો નદી પરથી પસાર થતા લોકોને અત્યારે દુર્ગંધને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે, પરંતુ શુદ્ધિકરણના આ પ્રથમ તબક્કાના કાર્યથી નદી ફરી જીવંત બનશે તેવી આશા સેવાઈ રહી છે. શહેરની નદી અને જનતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને પાલિકાએ આ દિશામાં નક્કર ડગલાં ભરવાની શરૂઆત કરી છે.
