MP Chandu Sihora
MP Chandu Sihora Raise Agariyas Question in Lok Sabha | સુરેન્દ્રનગર જિલ્લામાં 19 માર્ચના રોજ થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા 2,500થી વધુ અગરિયાઓને વ્યાપક નુકસાન થયું છે. આ ગંભીર મુદ્દે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ સિહોરાએ લોકસભામાં રજૂઆત કરી અગરિયાઓના હિતમાં અવાજ ઉઠાવ્યો છે.
વાવાઝોડામાં અગરિયાઓની સોલાર પેનલો, ઝૂંપડા અને ઘરવખરી તણાઈ જવાની સાથે આખા વર્ષની મહેનત સમાન મીઠાના પાટાઓમાં માટી ભળી જતાં આર્થિક પાયમાલી સર્જાઈ છે. સાંસદ દ્વારા લોકસભામાં માંગ કરવામાં આવી છે કે, ખેડૂતોની જેમ અગરિયાઓને પણ 3 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશો બદલ તેમનો આભાર માની, કેન્દ્ર સરકાર પાસે પણ વળતરની અપેક્ષા વ્યક્ત કરી છે. બીજી તરફ, સ્થાનિક અગરિયાઓએ પણ તંત્ર દ્વારા ચાલી રહેલા સર્વેમાં કોઈ વિઘ્ન ન નાખવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ગુજરાતના કુલ મીઠાના ઉત્પાદનમાં 80% હિસ્સો આપતા આ રણ પ્રદેશના શ્રમિકોને વહેલી તકે સહાય મળે તે માટે અત્યારે વહીવટી તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
