સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ ક્રાંતિ, PMAY-G દ્વારા અનેક લાભાર્થીઓના સ્વપ્નોને મળ્યું ‘પાકું સરનામું
સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ ૨૦,૦૩૩ આવાસો મંજૂર, ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ
PM-JANMAN યોજના હેઠળ ૨૮૭૪ આવાસો મંજૂર, ૯૩૩ આવાસો પૂર્ણ
સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૨૦,૦૩૩ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ થયા છે, જયારે ૭,૩૯૭ આવાસો પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમજૂથના ૨૮૭૪ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૩૩ આવાસો પૂર્ણ થયા છે.
આ આંકડા માત્ર સંખ્યાઓ નથી, પરંતુ લાભાર્થી પરિવારોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની સફળતાની કહાની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના અનેક પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. +
કાચા મકાનમાં રહેતા લોકોને પાકું આવાસ મળવાથી બાળકોને અભ્યાસ માટે સુરક્ષિત જગ્યા મળી, વડીલોને આરામની સુવિધા મળી અને મહિલાઓને સ્વચ્છ શૌચાલય અને આરોગ્યનું રક્ષણ મળ્યું છે. મનરેગા હેઠળ મળતી રોજગારીએ તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાળા ગામના અરવિંદભાઈ કઠેસીયાના જીવનમાં આવેલા બદલાવ વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી પોતાનું પાકું મકાન બનાવવાનું સ્વપ્ન હતું, જે હવે સરકારી સહાયથી સાકાર થયું છે આજે અરવિંદભાઈને જૂના મકાનમાંથી મુક્તિ મળી, અને હવે તેઓ તેમના પરિવાર સાથે આ નવા પાકા ઘરમાં સુખેથી રહે છે.
અરવિંદભાઈના પરિવારમાં કુલ ચાર સભ્યો છે જેમાં એક દીકરી, એક દીકરો અને તેમના પત્ની છે. નવા મકાનના નિર્માણથી સમગ્ર પરિવારમાં ખુશી અને સંતોષની લાગણી છે.