ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો (Weather Change) જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી સર્જાયેલા ટ્રફ (Trough) અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) નોંધાયો છે. સુરેન્દ્રનગર શહેર સહિત લખતર, મૂળી અને ધ્રાંગધ્રા પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે રવી પાક (Rabi Crop) લઈ રહેલા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કડુ, ઓળક, માલિકા અને તરમણીયામાં અચાનક વાતાવરણ બદલાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. હાલમાં ખેતરોમાં જીરૂ (Cumin) અને ચણાનો પાક તૈયાર અવસ્થામાં છે, ત્યારે આ માવઠાને કારણે પાક ધોવાઈ જવાની અથવા ગુણવત્તા બગડવાની શક્યતા છે. ખાસ કરીને ધ્રાંગધ્રા અને મૂળી તાલુકામાં જ્યાં ખેડૂતો જીરૂ ઉપાડવાની કામગીરી કરી રહ્યા છે, ત્યાં આ કમોસમી વરસાદને લીધે તૈયાર થયેલો માલ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, પવનની દિશા બદલાતા આગામી દિવસોમાં તાપમાનમાં (Temperature) થોડો ઘટાડો થઈ શકે છે. જોકે, આ કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લે તેવી સ્થિતિ સર્જી છે. સાયલા અને લીંબડી તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તૈયાર પાક પર વરસાદી પાણી પડવાથી ખેતીના ખર્ચ સામે વળતર મળવું મુશ્કેલ જણાઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર હાલાર અને ઝાલાવાડ પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે.