સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા (Municipal Corporation) નો દરજ્જો મળ્યા બાદ નાગરિકોને નિયમિત પાણી આપવાના વચનો અપાયા હતા. જોકે, ઉનાળાની શરૂઆત પહેલા જ વઢવાણના અનેક વિસ્તારોમાં જળ સંકટ (Water Crisis) ઘેરાયું છે.
વઢવાણના શિયાણીની પોળ સહિતના વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી પાણીનું વિતરણ (Water Distribution) ન થતા સ્થાનિક મહિલાઓની ધીરજ ખૂટી હતી. ટેકનિકલ કારણોસર પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને મનપા તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર (Sloganeering) કર્યા હતા. મહિલાઓએ ચીમકી આપી હતી કે જો સત્વરે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન (Protest) કરવામાં આવશે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધોળીપોળ વિસ્તારની પાણીની ટાંકીનો મુખ્ય વાલ્વ (Main Valve) ખરાબ હોવાથી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. મહિલાઓના આક્રમક મિજાજને જોતા મનપાની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી.
અધિકારીઓએ યુદ્ધના ધોરણે ખરાબ થયેલો વાલ્વ બદલવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ સફળ સમારકામ બાદ શિયાણીની પોળ, સતવારા પરા અને નવા દરવાજા સહિતના વિસ્તારોમાં સાત દિવસના વિરામ બાદ ફરી પાણી પુરવઠો (Water Supply) શરૂ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.