વિશ્વ જળ દિવસ નિમિત્તે ગુજરાતના જળ વ્યવસ્થાપનની એક અદભૂત સફળતા ગાથા સામે આવી છે. એક સમયે દુષ્કાળનો સામનો કરતા સુરેન્દ્રનગર જિલ્લાએ આજે પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન દ્વારા નવો ઇતિહાસ રચ્યો છે. નર્મદા યોજના અને ‘સૌની’ યોજનાના માધ્યમથી આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચી રહ્યું છે. આ સમગ્ર પરિવર્તનના કેન્દ્રમાં સુરેન્દ્રનગરનું ઢાંકી પમ્પિંગ સ્ટેશન છે, જે આ વિસ્તારની જળક્રાંતિ માટે જીવાદોરી સમાન સાબિત થયું છે.
વર્ષ 2007 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટેશનની વિશેષતા એ છે કે અહીંથી નર્મદાના પાણીને 71 મીટર જેટલી ઊંચાઈએ એટલે કે અંદાજે 24 માળ જેટલી ઊંચાઈ પર લિફ્ટ કરવામાં આવે છે. એન્જિનિયરિંગના આ અદભૂત નમૂના દ્વારા લાખો લોકો સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. આ પ્રોજેક્ટને કારણે પંથકના ભૂગર્ભ જળસ્તરમાં મોટો સુધારો જોવા મળ્યો છે.
પાણીની ઉપલબ્ધતા વધતા ખેડૂતોની આવકમાં પણ મબલખ વધારો થયો છે. અગાઉ જ્યાં ખેતી માટે વરસાદ પર નિર્ભર રહેવું પડતું હતું, ત્યાં હવે ખેડૂતો વર્ષમાં 2 થી 3 પાક લઈ રહ્યા છે. બોરવેલ અને કૂવાઓ રિચાર્જ થવાથી પશુપાલન અને ખેતીમાં સમૃદ્ધિ આવી છે. ઢાંકી પમ્પિંગ સ્ટેશન આજે માત્ર એક માળખું નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો પરિવારો માટે પ્રગતિનું દ્વાર બની ગયું છે.
