સુરેન્દ્રનગરના વઢવાણથી કોઠારીયા તરફ જતો હાઈવે હાલમાં વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. રોડ પર ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ગેબનશા પીર સર્કલ પાસે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાડાઓના કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે અને મોટા વાહનોના સસ્પેન્શનને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા આ રોડને ફોરલેન બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, તેમ છતાં વાસ્તવિક કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. વહીવટી તંત્રની આ ઢીલી નીતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા અથવા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે જેથી સંભવિત જીવલેણ અકસ્માતોને અટકાવી શકાય.
