થાનગઢ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ કુદરતી આફત ત્રાટકી છે. 19 માર્ચ 2026 ના રોજ અચાનક વાતાવરણમાં આવેલા પલટાને કારણે થાન શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
આ મિની વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક દુકાનો અને સિરામિક ફેક્ટરીઓના પતરાના શેડ હવામાં ઉડી ગયા હતા, જેનાથી ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેજ પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
થાનના શહેરી વિસ્તારમાં સતાપરા સાહેબના દવાખાના પાસે એક વિશાળ વૃક્ષ ભારે પવનના કારણે મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું. રસ્તા પર વૃક્ષ પડવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. વાવાઝોડાને કારણે રસ્તા પરના સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સ પણ જમીનદોસ્ત થયા હતા.
માવઠાના કારણે ખેતી અને ઉદ્યોગ બંનેને માઠી અસર પહોંચી છે. વરસાદી ઝાપટાં અને ફૂંકાયેલા પવનથી જનજીવન થોડા સમય માટે થંભી ગયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની અને વીજ લાઈનો રિપેર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અચાનક આવેલા આ વાવાઝોડાએ સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. હાલમાં પણ આકાશમાં વાદળછાયું વાતાવરણ જળવાયેલું છે, જેને પગલે લોકોમાં વધુ વરસાદ પડવાની ચિંતા જોવા મળી રહી છે.
