થાન રેલવે સ્ટેશન નજીક ગત રાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે મહિલાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા જ રેલવે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થાન શહેરના રહીશ રતુબેન ભરતભાઈ પાદેવાડિયા (ઉંમર વર્ષ 45) તરીકે થઈ છે. રેલવે પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકના પરિવારજનોને જાણ કરી છે. આ અકસ્માત આકસ્મિક રીતે ટ્રેક ક્રોસ કરતી વખતે થયો કે અન્ય કોઈ કારણોસર, તે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
