થાનના ખારા વિસ્તારમાં વન્યજીવોના શિકારની પ્રવૃત્તિ સામે વન વિભાગે લાલ આંખ કરી છે. થાનના વન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કંડોળીયા હનુમાનજી મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર શિકાર થતો હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ ગંભીર બાબતને ધ્યાને રાખી તપાસ હાથ ધરતા મંદિરના CCTV ફૂટેજમાં 2 શખ્સો સસલાનો શિકાર કરતા કેદ થયા હતા. મંદિરના સેવાભાવી નાગરિકોએ આ પુરાવા સાથે વન વિભાગને જાણ કરી હતી. જેના આધારે વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ગોપાલભાઈ ભૂપતભાઈ ઝાલા અને વિશાલભાઈ જગદીશભાઈ મકવાણા નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ બંને આરોપીઓ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની આ સક્રિયતાથી શિકારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
