હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે, જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો વાવાઝોડાએ ભારે ત્રાડવ મચાવ્યો છે.
અચાનક બદલાયેલા હવામાનને કારણે ફૂંકાયેલા અતિભારે પવનથી શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા મોટા હોર્ડિંગ્સ અને બેનરો પતંગની જેમ હવામાં ઉડી ગયા હતા. અનેક મકાનો અને સરકારી ઓફિસોના ઉપરના પતરા તેમજ પીઓપી (POP) ઉડી જવાને કારણે ભારે નુકસાન થયું છે. આ ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
જિલ્લામાં અનેક સ્થળોએ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા છે, જેના લીધે વીજ લાઈનો તૂટી પડી છે અને સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
આ ઉપરાંત, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, મોરબી, બનાસકાંઠા સહિત 20 થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા છે, અને ઓરેન્જ તેમજ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કાપણીના સમયે આવેલા આ માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.
