સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે વઢવાણમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રીની નજીક પહોંચતા બપોરના સમયે જનજીવન પ્રભાવિત થયું છે.
અસહ્ય તાપ અને લૂના કારણે વઢવાણની મુખ્ય બજારો જેવી કે ધોળીપોળ, મસ્જિદ ચોક અને શિયાણીની પોળ વિસ્તારમાં બપોરે સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ગ્રાહકોની પાંખી હાજરી અને ગરમીથી બચવા માટે હવે વેપારીઓ પણ બપોરના સમયે ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે. એક તરફ સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો પણ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
