અમદાવાદ સ્થિત EDII ખાતે આયોજિત “IP યાત્રા” કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા માટે સુવર્ણ અવસર સર્જાયો હતો. ભારત સરકારના પેટન્ટ્સ અને ડિઝાઇન્સ વિભાગના કન્ટ્રોલર જનરલ ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં ટાંગલિયા શાલના 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા.
પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વમાં મળેલી આ આંતરરાષ્ટ્રીય માન્યતા સુરેન્દ્રનગરની વણાટ કળાને નકલખોરો સામે કાયદાકીય રક્ષણ પૂરું પાડશે.
આ કાર્યક્રમમાં માત્ર ટાંગલિયા શાલ જ નહીં, પરંતુ ‘માતા ની પછેડી’ કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ સન્માનિત કરાયા હતા. ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું કે GI ટેગ એ કારીગરોના આર્થિક ઉત્થાનનું સબળ માધ્યમ છે, જે ભારતના સદીઓ જૂના વારસાને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સિદ્ધિથી સુરેન્દ્રનગરના વણકરો અને પથ્થર કલાકારો માટે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર ખુલશે અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે.
