સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી વધુ પેસેન્જરોની અવર-જવર ધરાવતા આ બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
હાલમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બપોરના સમયે બસ સ્ટેન્ડના 10 થી વધુ પંખાઓ બંધ રાખવામાં આવતા મુસાફરો શેકાઈ રહ્યા છે. એસ.ટી. વિભાગના અધિકારીઓની મનમાનીને કારણે નાના બાળકો અને વૃદ્ધોને ભારે બફારા વચ્ચે બસોની રાહ જોવી પડી રહી છે.
બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાંકડા ન હોવાથી મજબૂર મુસાફરોને જમીન પર બેસવું પડે છે. આ ઉપરાંત, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો છે. પેસેન્જરોએ આક્ષેપ કર્યો છે કે બસ સ્ટેન્ડમાં લગાવેલું સમયપત્રક અત્યંત જૂનું છે, જેમાં દર્શાવેલા અનેક રૂટ હાલમાં બંધ હોવા છતાં તેને અપડેટ કરવામાં આવ્યું નથી. મુસાફરોએ માંગ કરી છે કે બપોરના સમયે પંખા ચાલુ રાખવામાં આવે, નવા બાંકડા મુકાય અને બસોનું ટાઈમ ટેબલ તાત્કાલિક અપડેટ કરવામાં આવે જેથી જનતાને હાલાકી ન ભોગવવી પડે.
