મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓના રસોડા સુધી પહોંચી છે. સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે વઢવાણનામાં આવેલી આદર્શ નિવાસી શાળાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
છેલ્લા 7 દિવસથી ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળતા અહીં અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓ માટે હવે લાકડાના ચૂલા સળગાવીને ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે, ઓબીસી અને મહિલા આદર્શ નિવાસી શાળામાં ગેસના બાટલા ખૂટી પડતા રસોઈયાઓ ધોમધખતા તાપમાં પરંપરાગત ચૂલા પર રાંધવા મજબૂર બન્યા છે.
રસોઈયા ભવરસિંગ મારવાડીના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી એજન્સી દ્વારા સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી નથી. હોસ્ટેલના કોન્ટ્રાક્ટરો પણ ગેસ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમને ઘરે મોકલવાને બદલે હાલમાં લાકડાની ભઠ્ઠીઓ બનાવી રસોઈકામ ચલાવવામાં આવી રહ્યું છે.
માત્ર શાળાઓ જ નહીં, પણ શહેરના રેસ્ટોરન્ટો અને નાસ્તાની લારીઓ પર પણ આ ગેસ કટોકટીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લાંબી કતારો લાગે છે, છતાં પુરવઠો અપૂરતો છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ શાળાઓને પ્રાથમિકતા આપી ગેસ સિલિન્ડર ફાળવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
