સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રતનપરમાં રહેતા સમીરભાઈ ઇસુબભાઈ જેડા જ્યારે પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળ્યા, ત્યારે સોયબભાઈ નામનો શખ્સ ગાળો બોલી રહ્યો હતો. સમીરભાઈએ તેને ગાળો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યો હતો.
આ સામાન્ય બોલાચાલી બાદ રમજાનભાઈ રફીકભાઈ, રફીકભાઈ અબ્દુલભાઈ, મુમતાજબેન અને રુકશાનાબેન સહિતના વ્યક્તિઓએ એકસંપ થઈ સમીરભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે ભોગ બનનાર સમીરભાઈએ બે મહિલાઓ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
