સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે હવે ‘બે સિંઘમ’ અધિકારીઓની જોડી કાર્યરત થઈ છે. જિલ્લામાં પહેલેથી જ પોતાની કડક છાપ ધરાવતા એસપી પ્રેમસુખ ડેલુ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે હવે રેન્જ આઈજી તરીકે નિડર અધિકારી નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નિર્લિપ્ત રાય રાજ્યભરમાં લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓ સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા છે. બીજી તરફ, એસપી પ્રેમસુખ ડેલુએ પણ અગાઉ અનેક અસામાજિક તત્વો પર સપાટો બોલાવી ગુનાખોરી પર લગામ લગાવી છે. આ બે દિગ્ગજ પોલીસ અધિકારીઓના આગમનથી સુરેન્દ્રનગરની જનતામાં સલામતીનો અહેસાસ જાગ્યો છે. સ્થાનિકો માની રહ્યા છે કે હવે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વોએ વિદાય લેવી પડશે અને શાંતિનો નવો યુગ શરૂ થશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓમાં અનેક જગ્યાએ પદોને અપગ્રેડ કે ડાઉનગ્રેડ કરીને વહીવટી સુગમતા લાવવાનો પ્રયાસ કરાયો છે. આ આદેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ નિર્લિપ્ત રાયનું છે, જેમને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી વિદાય આપીને રાજકોટ રેન્જના આઈજી (IG) તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
