સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં મૂળી તાલુકાના ગઢડા ગામે વ્યાજખોરોના ત્રાસથી એક ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રેન્જ I.G. નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ વિશેષ ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના એ-ડિવિઝન, બી-ડિવિઝન, વઢવાણ, લખતર, જોરાવરનગર અને મૂળી એમ 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 100 થી વધુ પીડિતો ઉમટી પડ્યા હતા.
આ મેળાની ખાસિયત એ હતી કે પોલીસ માત્ર ફરિયાદ નોંધીને અટકી નથી, પરંતુ પીડિતોને વ્યાજખોરોની ચુંગાલમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે બેંકિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. કાર્યક્રમમાં SBI, ગુજરાત ગ્રામીણ બેંક અને યુનો બેંક જેવી વિવિધ સરકારી બેંકોના મેનેજરોને ખાસ તેડાવવામાં આવ્યા હતા. જે લોકો આર્થિક ભીંસમાં છે તેમને તાત્કાલિક ધોરણે બેંક લોન મળી રહે તે માટે પોલીસ વિભાગે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને આપવામાં આવતી ₹10,000 થી ₹50,000 સુધીની લોન પ્રક્રિયા પણ સ્થળ પર જ શરૂ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ અંતિમ પગલું ન ભરે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.” પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે જે વ્યાજખોરો નિર્દોષ લોકોને ધાક-ધમકી આપે છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મેળામાં ઉપસ્થિત પીઆઈ અને પીએસઆઈ સ્તરે લોકોની રજૂઆતો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ પહેલથી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સેંકડો પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.
