રાજકોટ રેન્જ આઈજી તરીકે નિરલિપ્ત રાયે કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કડક અને રચનાત્મક પગલાં ભરવાની શરૂઆત કરી છે. રેન્જ આઈજીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કર્યા બાદ લાંબા સમય સુધી તેનો ન્યાય ન મળતો હોય કે તપાસ અટકી પડી હોય તેવી ફરિયાદોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. 13 માર્ચથી જિલ્લાના 10 પોલીસ સ્ટેશનોમાં લોકદરબાર થકી આ મેળો યોજાશે, જેનો મુખ્ય હેતુ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરી પીડિતોને ઝડપી ન્યાય અપાવવાનો છે.
આ મુહિમ અંતર્ગત સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા અને પાટડી ડિવિઝનના ડીવાયએસપીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, જો કોઈ પરિવાર વ્યાજખોરોના ત્રાસથી પીડાતું હોય, કોઈના દબાણ હેઠળ જીવતું હોય અથવા કોઈ માથાભારે તત્વો ધમકાવતા હોય, તો તેવા લોકો નીડર બનીને આ મેળામાં અરજી કરી શકશે. અગાઉની જે અરજીઓ પર કાર્યવાહી થઈ નથી તેને ફરી ‘રી-ઓપન’ કરી નવેસરથી તપાસ કરવામાં આવશે. આ પહેલથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને ભયમુક્ત વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
