સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 10 પોલીસ સ્ટેશનમાં આ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના પ્રથમ દિવસે વઢવાણ અને સીટી બી-ડિવિઝન પોલીસ મથક ખાતે અરજી મેળો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના ASP વૈદિકા બિહાની અને પોલીસ કાફલાએ ઉપસ્થિત રહી પીડિત લોકોના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળ્યા હતા.વઢવાણ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા આ મેળામાં સામાજિક પ્રશ્નો, ઘરેલું હિંસા, જમીન દબાણ, વ્યાજખોરી અને મારામારી જેવા ગંભીર મુદ્દાઓની રજૂઆતો કરવામાં આવી હતી.
ખાસ કરીને વ્યાજખોરોના પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત પરિવારો મોટી સંખ્યામાં ન્યાયની આશાએ પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓએ આ તમામ રજૂઆતોની નોંધ લઈ તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી. અગાઉના સમયમાં જે અરજીઓ પર કોઈ ઉકેલ આવ્યો નહોતો, તેવી જૂની અરજીઓને પણ પુનઃ જીવિત કરી પીડિતોને ન્યાય અપાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આવેલી તમામ અરજીઓના નિકાલ માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તમામ ડિવિઝનના DYSP અધિકારીઓને સૂચના અપાઈ છે કે કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિને ન્યાય માટે લાંબો સમય રાહ ન જોવી પડે. આગામી દિવસોમાં આ અરજી મેળાઓ મૂળી, લખતર, લીંબડી, સાયલા, ચોટીલા અને પાટડી સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ યોજાશે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ માથાભારે તત્વો જમીન પચાવી પાડતા હોય કે માનસિક ત્રાસ આપતા હોય, તો નીડર બનીને પોલીસનો સંપર્ક કરે.
