Surendranagar Power Loss Reduction
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરી ડામવા માટે PGVCL અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી સઘન ઝુંબેશને અભૂતપૂર્વ સફળતા મળી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનના પરિણામે જિલ્લાનો વીજ લોસ 25 ટકાથી ઘટીને માત્ર 9 ટકા થઈ ગયો છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવવા માટે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ હોલ ખાતે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત PGVCL ની ટીમોએ પોલીસ સુરક્ષા સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. ખાસ કરીને બુટલેગરો અને ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી મોટાપાયાની વીજચોરી પર તંત્રએ ત્રાટક્યું હતું. થાનગઢ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા ટ્રાન્સફોર્મર (TC) પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ PGVCL ને પુરેપુરો સહકાર આપ્યો હતો.
કાર્યક્રમમાં PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી અને જિલ્લા હેડ એન.એન. અમીને પોલીસ વિભાગનું સન્માન કર્યું હતું. આ તકે મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ પણ ઉપસ્થિત રહી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જોકે, સફળતાની સાથે પડકારો પણ હજુ બાકી છે, કારણ કે જિલ્લામાં વીજ ગ્રાહકો પાસેથી હજુ 151 કરોડ રૂપિયાથી વધુની લેણી રકમ વસૂલવાની બાકી છે. આ માટે વિભાગ દ્વારા બાકીદારોના કનેક્શન કાપવાની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 9 ટકાના આ નીચા વીજ લોસને જાળવી રાખવો એ હવે પ્રાથમિકતા રહેશે અને આગામી દિવસોમાં પણ ચેકિંગની આ પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવશે.
