સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગ નજીક આવતા જ વીજ વિભાગ હરકતમાં આવ્યું છે અને જિલ્લામાં વધતા જતા વીજ લોસને નિયંત્રિત કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેર સહિત 10 તાલુકાઓમાં કુલ 233 જેટલી ટીમોને મેદાને ઉતારવામાં આવી છે. આ ટીમો દ્વારા છેલ્લા 24 કલાકમાં જંગી કામગીરી કરીને કુલ 3,821 ગ્રાહકો પાસેથી 1.33 કરોડ રૂપિયાની બાકી રકમની વસૂલાત કરવામાં આવી છે.
જે ગ્રાહકો લાંબા સમયથી બિલની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમની સામે વીજ વિભાગે આકરા પાણીએ પગલાં લીધા છે. આ તપાસ દરમિયાન 64 જેટલા એવા ગ્રાહકો મળી આવ્યા હતા જેમણે વારંવારની નોટિસ છતાં બિલ ભર્યું નહોતું, પરિણામે સ્થળ પર જ તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે.
આ ગ્રાહકો પાસે અંદાજે 4.58 લાખ રૂપિયા જેટલી રકમ લેણી નીકળતી હતી. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ 150 કરોડથી વધુની વીજ બિલની રકમ વસૂલવાની બાકી છે, જેને પગલે આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે.
વીજ વિભાગના અધિકારીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ સમયસર પોતાના વીજ બિલની ભરપાઈ કરી દે જેથી જોડાણ કપાવા જેવી અગવડતાનો સામનો ન કરવો પડે. જે એકમો કે રહેણાંક ધારકો બિલ ભરવામાં આનાકાની કરશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
233 ટીમોના આ ઓપરેશનથી વીજ ચોરી અને બાકી લેણાં ધરાવતા ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માર્ચના અંત સુધીમાં મહત્તમ વસૂલાત થાય તેવા લક્ષ્યાંક સાથે પીજીવીસીએલ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
