સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજબિલની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા કુલ 245 ટીમો બનાવીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉઘરાણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન જે ગ્રાહકોએ લાંબા સમયથી બિલ ભરપાઈ કર્યા નથી તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 188 જેટલા વીજ ધારકોએ બિલ ભરવાનો ઈનકાર કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ 188 ગ્રાહકો પાસેથી અંદાજે 22.15 લાખ રૂપિયાની વસૂલાત બાકી હતી.
બીજી તરફ, PGVCLની આક્રમક કામગીરીને પગલે મોટી સફળતા પણ મળી છે. 245 ટીમો દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં 3,870 ગ્રાહકો પાસેથી કુલ 1.10 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ ઊંચું હોવાથી તેને ઘટાડવા માટે તંત્ર દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, તેથી પીજીવીસીએલ વિભાગ દ્વારા તમામ ગ્રાહકોને વહેલી તકે પોતાના બાકી વીજબિલ ભરી દેવા માટે અપીલ કરવામાં આવી છે.
