સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026 સુધી તમામ શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ મહાનગરપાલિકાના વેરા વસૂલાત કેન્દ્રો કાર્યરત રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને પોતાના બાકી મિલકત વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરો ભરવામાં સરળતા રહે તેવો છે. રજાના દિવસોમાં પણ સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તમામ ઝોનલ કચેરીઓ પર વેરો સ્વીકારવામાં આવશે. શહેરીજનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ઉપરાંત ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને જોરાવરનગર લાઈબ્રેરી ખાતે આવેલા કેન્દ્રો પર જઈને વેરો ભરી શકશે. જે નાગરિકો કચેરીએ રૂબરૂ જઈ શકતા નથી, તેમના માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. https://app.snmcgujarat.com પોર્ટલ પરથી કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાશે. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે ખાસ તાકીદ કરવામાં આવી છે કે જેથી છેલ્લી ઘડીની ભીડથી બચી શકાય. તંત્ર દ્વારા આ વખતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો 31 માર્ચ 2026 સુધીમાં બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો સંબંધિત મિલકત ધારકો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી વેરા વસૂલાતની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. શહેરીજનોને અપીલ છે કે કાયદેસરની કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાના વેરા ભરીને શહેરના વિકાસમાં સહભાગી બને.
